૧) ઇડર
👉ઈડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વના તાલુકા ઈડર તાલુકામાં આવેલું ઐતિહાસિક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી 120કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વિકસેલું નગર છે.
અસલનું એ પ્રથમ વર્ગ 1નું પ્રગતિશીલ રજવાડું જ હતું.
કિલ્લાઓ,ખનિજસંપતિ,અરવલ્લીડુંગરમાળાઓ,પાણીના સરોવર વનરાજી, ભરપૂર હતાં. ખનિજ સંપતિ મામલે આરસોડિયા,કડીયાદરા અને આસપાસના વિસ્તારોમાં રાજશાહીના ટાઈમના જુના પુસ્તકોમાં ખૂબ વાંચવા મળ્યું.ઈડરગઢ પર અનેક આક્રમણ સામે એ અજેય રહેલો.તેથીજ લગ્નની જાન પરણીને આવે ત્યારે "અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો..!" એ લોકગીત ગવાય છે હજી.
👉ઈડરનુ પ્રાચીન નામ ઈલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઈલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઈને તે ઈડર થયું.આતાપી અને વાતાપી નામના ભાઈઓનું રાજ અને અગત્સ્યમુનિ નામના બળવીર અહીં આવે છે ત્યાં સુધીની પુરાણી વાતો વાંચવા મળે.ગુણવંત આચાર્ય જેવા સો થી વધુ નવલકથાઓના સર્જકે "ઈડરિયો ગઢ" નામે સુંદર નોવેલ લખી તે મેં વાંચી છે. તેમાં પૃથ્વીરાજ ચૌહાણ,જયચંદ,મોહમ્મદ ઘોરીના યુદ્ધ અંગેની રસિક વિશદ વાતો-પ્રકરણોમાં છે.
👉તેમાં ય આજે કોઈક કારણસર "દટણ સો પટ્ટણ" થયેલા પોલોના વિજયનગરનાં જંગલો વચ્ચે પહાડો નજીકના પ્રાચીન નગર,જૈન મંદિર(આ મુખ્ય મંદિર અતિ વિશાળ અને ખૂબ ઉચ્ચ કક્ષાની કળા-કોતરણી વાળું અને સાથે અન્ય મંદિરો જોતાં મોટું વિકસિત નગર અગાઉ હશે જ.આજે તો એની જાળવણીના અભાવે આસપાસ જંગલ જ છે,કોઈ વસ્તી નહીં.પ્રવાસીઓ ક્યારેક વધુ બગાડી જાય. વધુ દેખરેખની જરૂર છે.
ઈંગ્લેન્ડ કે ઈટાલીમાં આવું હોય તો ઉચ્ચતમ જાળવણી તો થાય પણ,વર્ષે વિશ્વભરમાંથી ત્યાં કરોડો પ્રવાસીઓ આવી શકે એવું આયોજન થાય જ.નવનિર્મિત સરદાર સરોવર પ્રકલ્પ સરદાર પ્રતિમા માટે કરે તેવું તો અહીં જ થવું ઘટે.સરકાર તો ઠીક ,લોકો ય સંસ્કૃતિ જાળવણી માટે થોડા ઉદાસીન જ.હૈયું બળી જાય મારુ આવું લખતાં તો મિત્રો ,માફ કરજો.એ 5 સદી અગાઉના બંધાયેલા અડીખમ પથ્થરની કોતરણી વાળા સુંદરતમ મંદિરો અવાવરુ છતાં મજબૂતી સાથે જળવાઈ રહ્યાં છે. પણ દરેક ઈમારતો માં પીપળાઓ ઊગી નીકળ્યા છે.સરકાર કશું જ કરતી જ નથી.હું ત્યાં રહેતો હોત તો નિસરણી લાવી એ પીપળાઓ દૂર કરત જ.એટલું તો થઈ શકે જ.
ઈડરગઢ માટે મને ખુબ હૈયાનું ખેંચાણ અનુભવાય છે.😢માટે જે ઈડરનાદુર્ગથી અહીં જૈનમંદિર સુધીની સુરંગ બધી વાતો અને આજે ય કલ્પી શકાય એ પહાડો અને જંગલોની ગીચતા જોતાં..! 40 km જેટલું દૂર ઈડરગઢથી અંતર છે.તો ત્યારે તો એ દુર્ગમ જ હોય ને..!કદાચ ગિરનાર જેટલી જ આ અરવલ્લીમાં પહાડોની પ્રાચીનતા હશે.હિમાલય તો બાપડો બહુ "જુવાન" કહી શકીએ,ગિરનાર-અરવલ્લી ના પ્રમાણમાં.
મેં સ્થળે જઈ એ પહાડો પર ચડી ઈડરમિત્રો મયંક પટેલ-સારંગ પટેલ સાથે ખાતરી કરેલ છે.એ પોળોનાં જંગલોમાં બર્ડ વૉચિંગ માટે ઉત્તમ સ્થળો જ,ત્યાં ઘણી જાતનાં પક્ષીઓ જોઈ શકો,અમને મયંકભઈએ ચિલોત્રો ય બતાવેલો ગાઢ જંગલમાં.
જય ઈડરગઢ.🏞🙏
ભૂગોળ :
🌹🌹🌹
ભૌગોલિક સ્થાન :
ઈડર નગર ભૌગોલિક રીતે ૨૩.૮૩° N ૭૩.૦° E. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઈ૧૯૫ મીટર (૬૩૯ ફીટ) જેટલી છે.
આબોહવા :
🌹🌹🌹🌹
શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે.,ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે .જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૫૨o સે. સુધી પહોંચી જાય છે, સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.ગરમી વધુ પડતી પડે ,જંગલો ના રહ્યાં અને એમાં ગ્રેનાઈટની શિલાઓ ખૂબ તપે ઉનાળે..!એ ગરમી તો માનવીની ભૂલનું જ પરિણામ છે.ખૂબ વૃક્ષ છેદન થઈ ચૂક્યું છે, એ જ કારણે.
આજથી 90 વરસ અગાઉ મારા દાદા ત્યાં રહેતા .ત્યારે તો વાઘ દીપડા આવતા એવું મને એઓ કહેતા બચપણમાં.મતલબ કે જંગલો જ હતા ઈડર આસપાસ.જે ફરી વાવી શકાય છે થોડા જ વર્ષોના પ્રયાસથી.થોડા મિત્રો એ વાવવા માટે પ્રયત્નશીલ છે,ઈચ્છીએ કે એઓના પ્રયાસ એક આંદોલન બની જાય અને ઈડરના તાપમાનમાં થોડા અંશનો ઘટાડો નોંધાય,પ્રભુ.🌳🙏
જોવાલાયક સ્થળો :
ઈડરિયો ગઢ :
🌹🌹🌹🌹
પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર: ઈડર ગઢના બે-ચાર પગથિયાં ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આ મંદિર આવેલું છે.શિવલિંગ પર કુદરતી રીતે જ મીઠા ઝરણા દ્વારા અભિષેક થતો હોવાથી આ સ્થળ ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિશાળ પત્થરની વચ્ચે નીચે ગુફામાં ઉતરતાં જ શિવલિંગના દર્શન થાય છે.
🏰રાજ મહેલ.
🎪મહાકાળી મંદિર.
🏛રૂઠી રાણીનું માળિયું.
🕌નવગજાપીરની દરગાહ તેમજ બગીચો.
🎪પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર.
પાતાળ કુંડ:
🌹🌹🌹
લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વદુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઈડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.
૧) દિગંબર/શ્વેતાંબર જૈન દેરાસરો
૨) હિંગળાજ માતાજી, વજરેશ્વરી માતાજી, જ્વાળા માતાજીના મંદિરો,
૩) લખુંમા તળાવ/ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ.
૪) પ્રખ્યાત દુર્ગમ રણમલ ચોકી,
૫) ભુરાબાવાની ગુફા.ઘણું જોવા મળશે.
👉આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પાણીપૂરી-પકોડી આકાર ધરાવતો,ગણેશ જેવા વિવિધ આકર્ષક કુદરતી પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે. શહેરમાં અનેકો મંદિરો જોવાલાયક છે. સાથે ઈડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ આવેલી છે.
રાણીના સ્નાન માટે બનાવવામાં આવેલું રાણી તળાવ આવેલું છે જ્યાં હાલ મધ્યમાં જૈન મંદિર બનેલું છે.બહુ વિશાળ જલરાશી ધરાવે રાણી તળાવ.
મંદિરની પાછળ પાંજરાપોળ જોવાલાયક છે.આ ઉપરાંત ઈડરમાં આશરે ૮થી ૧૦ હજાર વર્ષ જૂના શીલાચૈત્રી ગુફાના અવશેષો પણ જોવાલાયક છે. જે સાપવાડા, લાલોડા, ગંભીરપુરામાં આવેલા છે. ઘણાખરાં નામશેષ થયાં છે.શહેરની વચ્ચે આવેલો ટાવર શહેરની શોભા વધારે છે જે જોવાલાયક છે.
ટાવરની બાજુમાંથી જઈએ તો લાકડાનું રમકડાં બજાર આવેલું જે ઈડરને આગવી ઓળખ અપાવે છે. ઈડરમાં આવેલા શીલા ઉદ્યાન અને આયુર્વેદ વનની મુલાકાત હર કોઈ અવશ્ય કરે છે. શહેરમાં આવેલી ૧૩૦ વર્ષ ઉપર જૂની ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ પણ જોવા લાયક છે, જ્યાં ઉમાશઁકર જોશી તેમજ પન્નાલાલ પટેલ અભ્યાસ કરી ચુક્યા છે. સદાતપુરામાં આવેલ અરવિંદ ત્રિવેદીનું મકાન જ્યાં તે અવારનવાર આવતા જતા હોય છે. ઈડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ બાળ-ગંગા નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે. સાથે ગોધમજીમાં સદ્દગુરુનું સ્થાન અને ત્યાંથી સાબલી જઈએ ત્યાં મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક છે.
: મુખ્ય વિસ્તારો :
🌹🌹🌹🌹🌹
બસ સ્ટેશન, શ્રી નગર, રેલવે સ્ટેશન, બરેલા તળાવ વિસ્તાર, કોલેજ રોડ, વલાસણા રોડ ઉપર આવેલા ઉમિયાનગર, શુભ સીટી, કલરવ સોસાયટી, આનંદનગર સોસાયટી, ટાવર પાસે સાગરવાડા, ગઢવાડા, ખરાદી બજાર, કસ્બા વિસ્તાર વગેરે ઈડરના મુખ્ય વિસ્તારો છે.
ત્યાં એકવાર જાતે જઈને જુઓ મિત્રો.
આજે ઈડરના ગઢ વિસ્તારમાં પ્રવાસનખાતું
વિકાસ કરી એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે.
ભૂલો રે પડ્યો રે હંસો..આંગણે આવીને..!જય ઈડરગઢ.
🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷
૨) રૂઠી રાણીનું માળિયું
રાણી જ્યારે રુઠતા ત્યારે અહીં આવતા એ જગ્યા છે
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકા ખાતે આવેલ ઇડર ગઢ અને ઈડર ગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર ઉપર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માળિયું વર્ષ 1573 માં બનાવવામાં આવ્યું હતું. જેમાં રાણી જ્યારે રુઠતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળીયામાં જઈને રહેતા હતા અને ત્યારબાદ રાજા જઈને તેમને મનાવીને પરત લઈને આવતા હતા.આજે પણ પ્રવાસીઓ રૂઠી રાણીના માળિયાની મુલાકાત લેવાનું ભૂલતા નથી.
૩) ઝરણેશ્વર મહાદેવ
સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલું ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.
૪) રાવ રણમલની “રણમલ ચોકી”
(Ranmal choki, Idar)
ગ્રીસ શૈલીમાં નિર્માણ પામેલું ઘુમ્મટ વિનાનું અને અધૂરું બનેલું શિવાલય એટલે આજનું રણમલ મંદિર. જે લોકમુખે રણમલની ચોકી તરીકે જાણીતું થયું છે.
રાવ રણમલ સોલંકીકાળ નો સમકાલીન હતો. ઈડરના રાજનો પ્રબળ સેનાપતિ હતો. જેનો ડર દૂરદૂર સુધી રહેતો. તેની ઈડરગઢ પરથી હુમલો કરવાની તેમજ હુમલોનો સામનો કરવાની યુદ્ધશૈલી સામાન્ય સેનાનાં ગળે ઉતરે એવી નહોતી. રાવ રણમલ દુશ્મનોથી બચવા માટે દરેક સૈનિકને પોતાનાં જેવો જ વેશ ધારણ કરાવીને રાખતો.
રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ”માં કર્યો છે.
૫) લખુમાં તળાવ
ઈડરીયા ગઢ ઉપર લખુમાં તળાવ કિનારે વજેશ્વરી માતાજી મંદિર આવેલું છે.
ઉપરોક્ત તસ્વીરમાં દ્શ્યમાન લખુમાં તળાવ અને જૈન દેરાસરની પાછળનો ડુંગર આવનારા દિવસોમાં કદાચ જોવા નહી મળે..😢
રાજકીય માથાઓ દોસનો ટોપલો એક બીજા ઉપર ઢોળી પ્રજાને ગેરમાર્ગે દોર્યા વગર આ ડુંગરો ઉપર થઈ રહેલા ખનન બંધ કરાવે તેવી પ્રજાની માંગણી છે.આ વર્ષે ઈડરીયા ગઢ ઉપર પ્રવાસે આવેલા અનેકો લોકોએ આ શહેરની નોંધ લીધી છે.
ઇડરનું કાવ્ય
લોકો પૂછે મને ગમતું શહેર મે કહ્યું એ છે ઈડર અમારું,
ડુંગરોની તળેટીમાં મોજથી મલકાતું એ છે ઈડર અમારું ...
મસ્તકે બિરાજે ઉન્નત ઈડરિયો ગઢ એ છે ઈડર અમારું ,
રાણી તળાવની વચ્ચે શોભે જલમંદિર મજાનું એ છે ઈડર અમારું ....
ટાવરના ચોકમાં જૂનું બજાર જાણીતું એ છે ઈડર અમારું ,
ભણવા માટે સરપ્રતાપનું નામ પુરાણુ એ છે ઈડર અમારું ....
અપોલો પર બાબાસાહેબનું સ્ટેટ્યૂ ન્યારું એ છે ઈડર અમારું ,
શિલાઉદ્યાન ખાતે કરેલ રંગરોગાન રૂપાળું એ છે ઈડર અમારું...
રાજચંદ્રવિહાર બન્યો જીવદયા માટે સલામત ઠેકાણું એ છે ઈડર અમારું ,
દોલતમહેલ ના પગથિયાં ચઢતા શેર લોહી વધે અમારું એ છે ઈડર અમારું ...
રણમલ ચોકી સાથે શોભે રૂઠી રાણી નું માળિયું એ છે ઈડર અમારું,
જૈન મંદિરો જોડે લખુમાં તળાવ રળિયામણું એ છે ઈડર અમારું...
પ્રકૃતિના ખોળે કુદરતે ચમકાવ્યું એ છે ઈડર અમારું,
અજેય હંમેશા ને નીડરતા માટે ઉદાહરણ અપાતું એ છે ઈડર અમારું....
રતીભાર રૂપિયા માટે લોકો કરે ખનન ગઢનું એ છે ઈડર અમારું,
"ચેતન" બની ધરોહર બચાવું , કારણ પ્રાણથી પ્યારું એ છે ઈડર અમારું...
------- ચેતન કાપડિયા, ઈડર
No comments:
Post a Comment